Tue Jan 20 2026

Logo

White Logo

નાસિકમાં ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, : પટેલ પરિવારના 6 લોકોનું એક સાથે મૃત્યુ

1 month ago
Author: mumbai samachar teem
Video

નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રવિવારે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત થયો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 6 શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ તમામ લોકો સપ્તશ્રૃંગી ગઢ માતાના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક અકસ્માત વાણી ગામ નજીક આવેલા ભાવરી ઝરણાં પાસેના ઘાટના વળાંક પર થયો હતો. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, MH15 BN 555 નંબરની ઇનોવા કાર ઘાટ માર્ગ પર અન્ય વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં અચાનક બેકાબૂ બની ગઈ હતી અને સીધી 800 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. મૃતકોની ઓળખ કિર્તી પટેલ (ઉ.વ. 50), રસીલા પટેલ (ઉ.વ. 50), વિઠ્ઠલ પટેલ (ઉ.વ. 65), લતા પટેલ (ઉ.વ. 60), પચન પટેલ (ઉ.વ. 60) અને મણિબેન પટેલ (ઉ.વ. 60) તરીકે થઈ છે. આ તમામ લોકો પિંપળગાંવ બસવંતના રહેવાસી હતા અને તેઓ એકબીજાના સગા-સંબંધી હતા. માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા આ શ્રદ્ધાળુઓના મોતથી તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ, સપ્તશ્રૃંગી ગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ પંચાયતના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ કાર જે જગ્યાએ ખાબકી હતી તે સ્થળ અત્યંત જોખમી અને લગભગ સીધી 800 ફૂટ ઊંડી ખીણ છે. જેના કારણે બચાવ ટીમને નીચે ઉતરવામાં અને મૃતદેહોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોડે સુધી મૃતદેહોને બહાર કાઢી શકાયા નહોતા. નાસિકથી પણ વધારાની બચાવ ટુકડીઓને બોલાવવામાં આવી હતી અને રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ લોક નિર્માણ વિભાગ (PWD) પર ગંભીર બેદરકારીનો આરોપ મૂક્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ઘાટના આ વળાંક પર રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે અને વારંવાર ફરિયાદ કરવા છતાં તેને સુધારવામાં આવ્યો નથી. લોકોનું માનવું છે કે રસ્તાની આ ખરાબ સ્થિતિ પણ આ ગંભીર દુર્ઘટનાનું એક મુખ્ય કારણ બની છે. આ દુર્ઘટનાએ ધાર્મિક સ્થળો તરફ જતા ઘાટ માર્ગો પર સલામતીના પગલાં અને રસ્તાની જાળવણીની ગંભીર જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે.