ઢાકા: ટીમની સુરક્ષાની ચિંતાને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB)એ ICC મેન્સ ICC T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારત મોકલવાની મનાઈ કરી છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ને બંગ્લાદેશની તમામ મેચ શ્રીલંકા ખસેડવા વિનંતી કરી હતી, જે નકારી કાઢવામાં આવી હતી. આયરલેન્ડ ક્રિકેટ(IC)એ પણ ગ્રુપ બદલવાનો ઇનકાર કર્યો હતો. એવામાં અહેવાલ છે કે બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ શકે છે.
અહેવાલ મુજબ ICC મેન્સ ICC T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ભાગ લેશે કે નહીં તેનો અંતિમ નિર્ણય 21 જાન્યુઆરીએ આવી જશે. 17 જાન્યુઆરીના રોજ ઢાકામાં યોજાયેલી બેઠક દરમિયાન ICCએ BCB વચ્ચે એક બેઠક યોજાઈ હતી, એક અઠવાડિયામાં આ બીજી બેઠક હતી. બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં રમવા ઈચ્છે છે, પરંતુ ભારતની બહાર. ICCએ BCBને અંતિમ નિર્ણય લેવા 21 જાન્યુઆરીની ડેડલાઇન આપી છે.
BCBએ વિકલ્પો તપસ્યા:
આ વિવાદની શરૂઆત BCCIએ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL 2026માંથી હટાવ્યા બાદ થઇ. BCBએ ભારતમાં તેના ખેલાડીઓની સલામતી અને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, અને બાંગ્લાદેશની તમામ મેચ શ્રીલંકા શિફ્ટ કરવા વિંનતી કરી હતી.
ICCએ શેડ્યુલમાં કોઈ ફેરફાર કરવાની મનાઈ ફરમાવી. ICC એ BCB ને ખાતરી આપી છે કે ભારતમાં બાંગ્લાદેશ ટીમની સુરક્ષાને કોઈ જોખમ નથી.
BCBએ આયર્લેન્ડ સાથે ગ્રુપ બદલવાનો પણ પ્રસ્તાવ મુક્યો હતો, આયરલેન્ડ ક્રિકેટ(IC) આ માટે સંમત થયું ન હતું.
આ દેશની ટીમને મળી શકે છે સ્થાન:
અહેવાલ મુજબ તમમ રસ્તાઓ તપસ્યા બાદ હવે અંતિમ નિર્ણય BCB એ લેવાનો છે. જો બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ માટે તેની ટીમ ભારત નહીં મોકલે તો, ICC રિપ્લેસમેન્ટ ટીમની જાહેરાત કરી શકે છે. વર્તમાન રેન્કિંગના આધારે, સ્કોટલેન્ડને તક મળી શકે છે.
બાંગ્લાદેશને ગ્રુપ Cમાં મૂકવામાં આવ્યું છે, મૂળ શેડ્યુલ મુજબ બાંગ્લાદેશ કોલકાતા અને મુંબઈમાં ગ્રુપ સ્ટેજના મેચ રમશે.
શું ઈંગ્લેન્ડ ભારતની યાત્રા કરશે?
યુકે સરકારે એક ટ્રાવેલ એડવાઇઝરીમાં ચેતવણી જાહેર કરી હતી કે ભારતમાં આતંકવાદી હુમલા થવાની શક્યતા ખુબ જ વધુ છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ T20 વર્લ્ડ કપ દરમિયાન તેના ખેલાડીઓ પર મધ્યરાત્રિ બાદ બહાર ન જવા કડક સુચના આપી છે. મેચના દિવસો સિવાય પણ ખેલાડીઓને રાત્રે 12 વાગ્યા સુધીમાં તેમની હોટેલ પરત ફરવું પડશે.