નવી દિલ્હીઃ પંજાબની પઠાણકોટ પોલીસે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન સરહદ નજીક નરોટ જમાલ સિંહના સરહદી વિસ્તારમાંથી ભારે માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો.
આ જથ્થો રાજ્યમાં શાંતિ ભંગ કરવા માટે પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જપ્ત કરાયેલા જથ્થામાં ત્રણ એક-૪૭ રાઇફલ, પાંચ મેગેઝિન, બે પિસ્તોલ(તુર્કી અને ચીનમાં બનેલી), બે મેગેઝિન અને ૯૮ જીવતા કારતૂસોનો સમાવેશ થાય છે.
ડીઆઇજી બોર્ડર રેન્જ સંદીપ ગોયલે જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે જાણવા મળે છે કે આ જથ્થો પાકિસ્તાનની જમીન પર કાર્યરત અપરાધીમાંથી આતંકવાદી બનેલા રિંડાએ મોકલ્યો હતો. તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ(આઇએસઆઇ)ના સંપૂર્ણ સમર્થનથી કામ કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે.
આ જપ્તી બાદ પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવ્યું છે તેમ જ આમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવા માટે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ નેટવર્કને તોડવા અને ભવિષ્યમાં કોઇપણ જોખમને નાથવા માટે સાથે મળીને કામ કરી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.