ભુજઃ મુંદરા તાલુકાના એક ગામમાં ઝારખંડના 12મી જાન્યુઆરીએ શ્રમજીવી પરિવારની છ વર્ષની માસૂમ બાળકી પર એકલતાનો લાભ લઈને પડોશમાં રહેનારા એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ ગુજાર્યાના ઘૃણાસ્પદ બનાવમાં ભોગ બનેલી આ બાળકીને તાત્કાલિક સારવાર આપવામાં ગામના આરોગ્ય કેન્દ્ર, મુંદરા ખાતેની સરકારી હોસ્પિટલ અને ભુજની અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા બેદરકારી આચરવામાં આવી હતી. સારવારમાં બેદરકારી થઈ હોવાનું જાણવા મળતાં નામદાર પોકસો કોર્ટે આ તમામ હોસ્પિટલના જવાબદારોને કારણદર્શક નોટિસ ફટકાર હોવાનું જાણવા મળ્યું છે.
પતિ-પત્ની મજૂરી કામે ગયાં ત્યારે નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું
માનવજાત માટે શરમજનક બનાવો સતત વધી રહ્યાં છે. આ કેસની વાત કરવામાં આવે તો, છેક ઝારખંડથી પેટિયું રળવા કચ્છ આવેલું દંપતી મુંદરા તાલુકાના એક ગામમાં આવેલી ખાનગી કંપનીની લેબર કોલોનીમાં રહીને કંપનીમાં મજૂરીકામ કરતું હતું. ગત 12 જાન્યુઆરીના રોજ મુજબ પતિ-પત્ની પોતાની દીકરીને ઘરે મૂકીને મજૂરીકામ અર્થે કંપનીમાં ગયા હતા. આ દરમિયાન એકલતાનો લાભ લઈને બાજુમાં રહેનાર મૂળ બિહારના મનીષ કુમાર માંઝી નામના યુવકે માસુમ બાળકીની એકલતાનો લાભ લઈને તેણી પર દુષ્કર્મ ગુજારી, શારીરિક-માનસિક ઈજાઓ પહોંચાડી હતી.
આખરે શા માટે હોસ્પિટલ દ્વારા બેદરકારી આચરવામાં આવી?
બનાવ અંગે ફરિયાદ નોંધાતાં જ મુંદરા મરીન પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. જો કે, જઘન્ય બનાવ બાદ માનસિક અને શારીરિક રીતે ભાંગી પડેલી નાનકડી બાળકીને સારવાર અર્થે પ્રથમ મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ગુનાનો ભોગ બનનાર બાળકીને મુંદરાની હોસ્પિટલે વધુ સારવાર માટે ભુજ જી.કે, જનરલ હોસ્પિટલમાં રીફર કરી હતી. બાળકીને લઈ તેની માતા પરોઢે સાડા ચાર વાગ્યે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પહોંચી હતી. પરંતુ, 12 કલાક સુધી હોસ્પિટલમાં બાળકીની 'ઇન્ડોર પેશન્ટ' તરીકે સારવાર કરાઈ ન હતી. 12 કલાક બાદ બાળકીને સારવાર આપવામાં આવી હતી.
ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો
આ તમામ હોસ્પિટલોમાં ગરીબ પરિવારની બાળકીની યોગ્ય સારવાર ના કરાઈ હોવાનું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ચાઈલ્ડ વેલફેર કમિટીના ધ્યાને આવ્યું હતું. તેમણે આ બાબતને ગંભીરતાથી લઈ એડિશનલ સેશન્સ ન્યાયાધીશ અને સ્પેશિયલ ન્યાયાધીશ (પોક્સો) જે.એ. ઠક્કરની કોર્ટ સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો હતો. જેને અત્યંત ગંભીરતાથી લઈને ન્યાયાધીશ જે.એ. ઠક્કરે ભદ્રેશ્વર આરોગ્ય કેન્દ્ર, મુંદરા સિવિલ હોસ્પિટલ અને જી.કે. જનરલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ તથા સિવિલ સર્જનને કારણદર્શક નોટિસ ફટકારી છે.