અમદાવાદ: સાણંદમાં આમ આદમી પાર્ટીના સંમેલનમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમના સ્થળને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. અગાઉ આ સંમેલન અમદાવાદના નિકોલ વિસ્તારમાં યોજાવાનું હતું, પરંતુ AAP નેતા ગોપાલ ઇટાલિયાના આક્ષેપ મુજબ, સત્તાધારી પક્ષના દબાણ અને ધમકીઓને કારણે પ્લોટ માલિકે છેલ્લી ઘડીએ મંજૂરી રદ કરી દીધી હતી. આથી આ સંમેલન સાણંદમાં યોજાયું હતું અને આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ સરકારને આડે હાથ લીધી હતી.
ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, "આમ આદમી પાર્ટી દ્વારા જ્યાં સભા રાખવામાં આવે તે જગ્યાના માલિકને પોલીસ સ્ટેશન, મામલતદાર ઓફિસ કે ભાજપની ઓફિસમાંથી ફોન આવે કે તમે કેમ જગ્યા આપી. તેમણે આગળ કહ્યું કે જો કદાચ આમ આદમી પાર્ટીની સભા થઈ જાય, ચાર આગેવાનો પોતાની વાત રજૂ કરી જાય તો એમાં ગુજરાતમાં તકલીફ શું પડી જાય છે? શા માટે ના પાડવી પડે છે?
ગુજરાતમાં ભાજપે ભ્રષ્ટાચાર કરવા સિવાય, જનતાના સુખ અને સુવિધાઓ માટે કામ કર્યું હોત તો આજે આમ આદમી પાર્ટીની સભા કેન્સલ કરાવવાનું કામ ના કરવું પડત.
— AAP Gujarat (@AAPGujarat) January 18, 2026
આમ આદમી પાર્ટીની સભા અને અને નેતાઓ પોતાની વાત રજૂ કરે એમાં શું તકલીફ છે?
હવે જાગવું કેમ જરૂરી છે તે સાંભળો‼️@Gopal_Italia pic.twitter.com/F4Oq1K6kLX
તેમણે કહ્યું હતું કે દારૂ વેચનારાને તો કોઈ ફોન કરીને પૂછતું નથી કે કોની જમીનમાં વેચે છે? કોની મંજૂરીથી વેચે છે. બેફામ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેંચાય છે, જમીન માફિયાઓ ગમે તેની જમીન પર કબજો કરી લે છે અને તોડ કરી નાખે છે. તેને કોઈ પૂછતું નથી. આમ આદમી પાર્ટીને સભા કરવી હોય તો પૂછે છે કે આને જગ્યા કોણે આપી.
આગળ તેમણે પ્રશ્ન કર્યો હતો કે આટઆટલી તાનાશાહી કેમ કરવામાં આવે છે? 30 વર્ષથી ભાજપ શાસન કરે છે. જો ભાજપે આટલા વર્ષના શાંશનમાં ભાજપે ગુજરાતમાં જનતા માટે કામ કર્યું હોત, લોકોની સુખ સુવિધા કે સરળ જીવન કરવા માટે જો કામ કર્યું હોત તો તો આજે આમ આદમી પાર્ટીની સભા કેન્સલ કરાવવાનું કામ ના કરવું પડત. લોકોના કામ કર્યા હોત તો લોકો જ ના આવત અને અમારી સભા બંધ રહી હોત. લોકો શુંકામે અમારી સભામાં આવે છે તેની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા ભાજપના નેતાએ કરવી જોઈએ. જનતા દુખી છે, હેરાન થઈ રહી છે, પીડા છે એટલે આવી રહી છે.
તેમણે કહ્યું હતું કે જનતાના દુખ અને પીડા દૂર કરવાની ચિંતા ભાજપના નેતા કરે તો આમ આદમી પાર્ટીની સભા જ નહિ પણ આખી આદમી પાર્ટી બંધ થઈ જાય. ખેડૂતો ખુશ હોય, પશુપાલકો ખુશ હોય, વેપારી ખુશીથી વેપાર કરી શકતા હોય, મજૂરને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મળતો હોય તો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં કોઈ જરૂર જ નથી.