(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ મહારાષ્ટ્રને મજબૂૂત અને ઊભરતા વિકાસ કેન્દ્ર તરીકે સ્થાપવાના હેતુથી ત્રણ દિવસીય ‘એડવાન્જેટ વિદર્ભ ૨૦૨૬ ‘ઔદ્યોગિક પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૨૦ દેશના રાજદૂત અને વેપારી પ્રતિનિધિઓ હાજરી પૂરાવવાના છે.
‘એડવાન્જેટ વિદર્ભ ૨૦૨૬-ખાસદાર ઔદ્યોગિક મહોત્સવ’ની ત્રીજી આવૃત્તિ છથી આઠ ફેબ્રુઆરી દરમ્યાન રાષ્ટ્રસંત તુકાડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી કેમ્પસમાં યોજાશે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ મહોત્સવમાં મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ ઓફ ઈન્ડિયા (એમએસએમઈ)ના ૧૦૦ અને ૪૦ જિલ્લા-સ્તરીય સ્ટોલ ઊભા કરવામાં આવશે, જે વિદર્ભના વિવિધ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરશે.
આ એક્સપોમાં રશિયા, ચીન, બ્રાઝિલ, ઈજિપ્ત, ઉરુગ્વે, નાઈજીરીયા, ઝામ્બિયા, વેનેઝુએલા, ટોગો, ગુયાના અને બેનિન સહિત લગભગ ૨૦ દેશના રાજદૂત અને વેપારી પ્રતિનિધિઓ હાજરી આપશે અને વૈશ્ર્વિક રોકાણકારો સાથે ૨૦થી વધુ દ્વિપક્ષીય વેપાર બેઠકોનું આયોજન કરવામાં આવશે.
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ એક્સોપમાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના એકમો, સેબી, બીએસઈ, એનએસઈ અને અન્ય અગ્રણી નાણાકીય સંસ્થા સહિત સૌર ઊર્જા ઉત્પાદક, કાપડ, પ્લાસ્ટિક, ખનિજ, કોલસો, ઉડ્ડયન, આઈટી, હેલ્થ, ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ, રિયલ એસ્ટેટ અને ર્સ્ટાટએપ જેવા ઉદ્યોગગૃહ ભાગ લેશે.