Thu Jan 29 2026

Logo

White Logo

બ્રેકિંગ ન્યૂઝ 28 Jan 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

1 day ago
Author: Mumbai Samachar Team
Video

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

19 hours ago

ભારત પરાજયની દિશામાં, 63 રનમાં ચાર વિકેટ ગુમાવી

ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતે પહેલી ત્રણેય ટી-20 જીતીને 3-0થી અજેય સરસાઈ તો મેળવી, પરંતુ વિશાખાપટનમમાં ટીમ ઇન્ડિયાના પાસાં ઊલટા પડી રહ્યા છે. 216 રનના પડકારરૂપ લક્ષ્યાંક સામે ભારતે 63 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઇનિંગ્સના પ્રથમ બૉલ પર અભિષેકની અને નવમા રને કૅપ્ટન સૂર્યકુમારની વિકેટ પડ્યા બાદ ભારતે પંચાવનમા રને સંજુ સૅમસન (24 રન) અને 63મા રને હાર્દિક પંડ્યા (બે રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. રિન્કુ સિંહ (39 નૉટઆઉટ, 29 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) સંજુ સૅમસન અને હાર્દિકના રૂપમાં બે સાથી ગુમાવ્યા બાદ હવે શિવમ દુબે (નવ નૉટઆઉટ) કિવી બોલર્સનો હિંમતથી સામનો કરી રહ્યો હતો.

19 hours ago

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હુમલાની ચેતવણી આપી, વેનેઝુએલા જેવી કાર્યવાહીનો સંકેત આપ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને હુમલાની ચેતવણી આપી છે.  ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને વેનેઝુએલા જેવી કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે. ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, એક વિશાલ આર્મડા ઈરાન તરફ આગળ વધી રહ્યું છે.

19 hours ago

અભિષેક પહેલા જ બૉલ પર આઉટ

વિશાખાપટનમમાં ન્યૂ ઝીલૅન્ડે ભારતને જીતવા 216 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ તેઓ ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા (0)ની પહેલા જ બૉલમાં વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. ફાસ્ટ બોલર મૅટ હેન્રીના બૉલમાં અભિષેકનો કૉન્વેએ ડાઇવ મારીને ખૂબ સરસ કૅચ ઝીલ્યો હતો. વિકેટકીપર સંજુ સૅમસનની આકરી કસોટીની સ્થિતિમાં કૅપ્ટન સૂર્યકુમાર તેની સાથે ક્રીઝમાં જોડાયો હતો.

21 hours ago

ટીમ ઇન્ડિયાને પહેલી સફળતા છેક 100મા રન પર મળી, બીજી વિકેટ પણ પડી

ભારતે ચોથી ટી-20માં ફીલ્ડિંગ પસંદ કર્યા બાદ ન્યૂ ઝીલૅન્ડે પ્રથમ બૅટિંગના વિકલ્પનો સારો ફાયદો ઉઠાવ્યો હતો. ભારતને છેક 100મા રન પર પહેલી સફળતા મળી હતી અને એ સફળતા કુલદીપ યાદવે અપાવી હતી. જોકે ડેવૉન કૉન્વે (44 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)એ ટિમ સિફર્ટ (56 નૉટઆઉટ, 28 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) સાથે 100 રનની ભાગીદારી બાદ વિકેટ ગુમાવી હતી. એ પહેલાં, કૉન્વે-સિફર્ટની જોડીએ અર્શદીપ, બુમરાહ, બિશ્નોઈ અને હર્ષિતની બોલિંગનો સમજદારીથી સામનો કર્યો હતો. દરમ્યાન 103 રનના સ્કોર પર રચિન રવીન્દ્ર (બે રન) બુમરાહના બૉલમાં તેને જ કૅચ આપી બેઠો હતો.

22 hours ago

ભારતે ફીલ્ડિંગ લીધી, ઇશાનના સ્થાને અર્શદીપ પ્લેઇંગ ઇલેવનમાં

વિશાખાપટનમમાં ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની ચોથી ટી-20 માટે થયેલો ટૉસ જીતીને સૂર્યકુમાર યાદવે ફીલ્ડિંગ પસંદ કરી છે. ભારત 3-0થી વિજયી સરસાઈમાં છે. ભારતની ટીમમાં એક ફેરફાર કરાયો છે. ઇશાન કિશન નજીવી ઈજાને લીધે પ્લેઇંગ ઇલેવનમાં નથી અને તેના સ્થાને અર્શદીપ સિંહને સમાવવામાં આવતાં ભારતની બોલિંગ વધુ મજબૂત થઈ છે. સંજુ સૅમસનને વધુ એક તક અપાઈ છે. ન્યૂ ઝીલૅન્ડે કાઇલ જૅમીસનના સ્થાને ઝૅક ફૉક્સને ટીમમાં સામેલ કર્યો છે. ભારતની ટીમઃ સૂર્યકુમાર (કૅપ્ટન), અભિષેક, સૅમસન (વિકેટકીપર), હાર્દિક, શિવમ દુબે, રિન્કુ, હર્ષિત, કુલદીપ, બિશ્નોઈ, અર્શદીપ અને બુમરાહ. ન્યૂ ઝીલૅન્ડની ટીમઃ સૅન્ટનર (કૅપ્ટન), સિફર્ટ (વિકેટકીપર), કૉન્વે, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચલ, ચૅપમૅન, ઝૅક ફૉક્સ, મૅટ હેન્રી, ડફી અને સોઢી.

22 hours ago

ફિલિપાઇન્સમાં 6.0ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો

મિંડાનાઓ ટાપુઃ ફિલિપાઇન્સમાં ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિલોમીટર ઊંડાણમાં નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપના  કારણે નોંધપાત્ર નુકસાન થયું હોવાન આશંકા છે. જો કે, હજી નુકસાનની કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

22 hours ago

અંબાજીમાં ત્રણ દિવસીય 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, દિવ્ય માહોલ  સર્જાશે

ગુજરાતના શકિતપીઠ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 01 ફેબ્રુઆરી 2026  દરમિયાન ભવ્ય 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  આ મહોત્સવમાં ભાગ લેવા માટે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે

22 hours ago

ભારતે ફીલ્ડિંગ લીધી, ઇશાનના સ્થાને અર્શદીપ પ્લેઇંગ ઇલેવનમાં

વિશાખાપટનમમાં ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની ચોથી ટી-20 માટે થયેલો ટૉસ જીતીને સૂર્યકુમાર યાદવે ફીલ્ડિંગ પસંદ કરી છે. ભારત 3-0થી વિજયી સરસાઈમાં છે. ભારતની ટીમમાં એક ફેરફાર કરાયો છે. ઇશાન કિશન નજીવી ઈજાને લીધે પ્લેઇંગ ઇલેવનમાં નથી અને તેના સ્થાને અર્શદીપ સિંહને સમાવવામાં આવતાં ભારતની બોલિંગ વધુ મજબૂત થઈ છે. સંજુ સૅમસનને વધુ એક તક અપાઈ છે. ન્યૂ ઝીલૅન્ડે કાઇલ જૅમીસનના સ્થાને ઝૅક ફૉક્સને ટીમમાં સામેલ કર્યો છે.
 

Toss and Team Update #TeamIndia elect to field in the 4th T20I.

Arshdeep Singh comes in for Ishan Kishan, who misses out due to a niggle.

Updates https://t.co/GVkrQKKyd6 #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/lNUgpWiLsm

— BCCI (@BCCI) January 28, 2026

ભારતની ટીમઃ સૂર્યકુમાર (કૅપ્ટન), અભિષેક, સૅમસન (વિકેટકીપર), હાર્દિક, શિવમ દુબે, રિન્કુ, હર્ષિત, કુલદીપ, બિશ્નોઈ, અર્શદીપ અને બુમરાહ. ન્યૂ ઝીલૅન્ડની ટીમઃ સૅન્ટનર (કૅપ્ટન), સિફર્ટ (વિકેટકીપર), કૉન્વે, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચલ, ચૅપમૅન, ઝૅક ફૉક્સ, મૅટ હેન્રી, ડફી અને સોઢી.

 

1 day ago

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના દિવંગત નાયબ સીએમ અજિત પવારને શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અંગે  મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન રાજ્યપાલે બે મિનિટનું મૌન પાળી દિવંગત  અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

1 day ago

આવતીકાલે સવારે 11 વાગ્યે બારામતી ખાતે થશે અજિત પવારના અંતિમ સંસ્કાર

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પાર્થિવ દેહ પર આવતીકાલે સવારે 11 વાગ્યે બારામતીમાં આવેલી વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થાના પરિસરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ એનસીપી (એસપી)ના વડા શરદ પવાર સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અકાળ અવસાન બાદ બારામતી ખાતે તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમને વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડે તેવી શક્યતા છે.

1 day ago

મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક..

અજિત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી. તેમણે પત્રકાર પરિષદમાં આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ફોન દ્વારા ઘટનાની જાણકારી પણ આપી હોવાની માહિતી આપી. મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે આજનો દિવસ મહારાષ્ટ્ર માટે દુઃખદ દિવસ છે.

1 day ago

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મૃત્યુ: સૂત્ર...

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન સાથે બારામતીમાં લેન્ડિંગ દરમિયાન એક દુર્ઘટના ઘટી છે. વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. આ વિમાનમાં છ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત તમામ લોકોનું મૃત્યું થયું છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

1 day ago

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન સાથે બારામતીમાં લેન્ડિંગ દરમિયાન એક દુર્ઘટના ઘટી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી અને અજિત પવાર ગંભીર રીતે ઘાયલ થઈ હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. હાલમાં આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો અને વિમાનમાં થયેલા નુકસાનની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, તેમજ વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.