Thu Jan 29 2026

Logo

White Logo

યુપીમાં શંકરાચાર્ય મામલે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જાણો અમિત શાહ તેમના વિશે શું બોલ્યા

22 hours ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જે સરકાર સનાતન ધર્મના મૂલ્યોને જાળવી રાખતી નથી તે સત્તા પર ફરી આવી શકતી નથી, તેના અનુયાયીઓને નિરાશ કરે છે, તે સત્તા પર આવી શકતી નથી.  

તેમણે જણાવ્યું હતું કે સનાતન પરંપરાઓના અનુયાયીઓએ લાંબા સમય સુધી એવી સરકારની રાહ જોઈ છે, જે સનાતન ધર્મને મહત્વ આપે અને તેના સિદ્ધાંતો અનુસાર શાસન કરે. દેશમાં શંકરાચાર્ય મામલે વિવાદ સર્જાયો છે ત્યારે અમિત શાહે જણાવ્યું હતું કે આદિ શંકરાચાર્યએ ભારતીય ઓળખ સ્થાપિત કરી અને સનાતન ધર્મનો ધ્વજ બધી દિશામાં ઊંચો ફરકતો રહે, તેની ખાતરી રહી.  આદિ શંકરાચાર્યના ગ્રંથાવલીના ગુજરાતી સંસ્કરણનું વિમોચન કર્યા બાદ આ કાર્યક્રમને સંબોધતા અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અદ્વૈત વેદાંત વિદ્વાનના સંપૂર્ણ કાર્યોનો ગુજરાતના યુવાનોના જીવન અને કાર્ય પર ઊંડો પ્રભાવ પડશે.

શંકરાચાર્યનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે આટલા ટૂંકા જીવનકાળમાં બહુ ઓછા લોકો આટલું બધું પ્રાપ્ત કરી શક્યા છે. શંકરાચાર્યે આખા દેશમાં પગપાળા પ્રવાસ કર્યો અને એક રીતે, એક મોબાઇલ યુનિવર્સિટી તરીકે સેવા આપી. તેમણે માત્ર પગપાળા પ્રવાસ જ નહીં, પરંતુ તેમણે ભારતની ઓળખ પણ સ્થાપિત કરી, ચારેય દિશામાં ચાર મઠો સ્થાપ્યા, જ્ઞાનના કેન્દ્રો બનાવ્યા અને ધ્યાન રાખ્યું કે સનાતન ધર્મનો ધ્વજ બધી દિશામાં ઊંચો ફરકતો રહે.

તેમણે કહ્યું કે સંતોના આશીર્વાદથી, તેમને વિશ્વાસ છે કે સનાતન ધર્મના મૂલ્યોને નબળી પાડતી કોઈપણ સરકાર સત્તામાં પાછી નહીં આવે. તેમણે કહ્યું કે આજે દેશમાં એવી સરકાર છે જે સનાતન ધર્મના સિદ્ધાંતો અનુસાર શાસન કરી રહી છે અને સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવી રહી છે.