મુંબઇ : મહારાષ્ટ્રના નાયબ સીએમ અજિત પવારનું બારામતીમાં પ્લેન ક્રેશમાં દુ:ખદ અવસાન થયું છે. જોકે, આ પૂર્વે અનેક રાજનેતાઓનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો છે. આ નેતાઓમાં પૂર્વ વડાપ્રધાનથી લઇને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસનો પણ સમાવેશ થાય છે.
મોરારજી દેસાઇનું આસામમાં વિમાન ક્રેશ થયું હતું
આ અંગેનો પ્રથમ દુર્ઘટના વર્ષ 1977માં ઘટી હતી. જેમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇનું આસામમાં વિમાન ક્રેશ થયું હતું. જોકે, તેમનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનામાં અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન પી.કે. થુંગોનને ગંભીર ઈજા થઈ હતી.તેમના ડાબા પગમાં ફ્રેક્ચર અને અન્ય ઇજાઓ થઈ હતી.
અનેક નેતાઓનો પણ થયો છે આબાદ બચાવ
જ્યારે વર્ષ 2001 માં રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોતનું હેલિકોપ્ટર ચુરુ જિલ્લામાં ઝાડ સાથે અથડાયું ત્યારે તેઓ બચી ગયા.
વર્ષ 2004માં, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ અને કુમારી શૈલજાનો ગુજરાતમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયા.
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહનો પણ બચાવ થયો હતો
વર્ષ 2007માં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને તેમના કેબિનેટ સાથી પી.એસ. બાજવા ગુરદાસપુરમાં જ્યારે તેમનું હેલિકોપ્ટર ઈલેકટ્રીસિટીના તારોમાં ફસાઈ ગયું હતું. તેમનો આબાદ બચાવ થયો હતો.
પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ 30 ઓગસ્ટ 2009 ના રોજ તેમના ચાર્ટર્ડ હેલિકોપ્ટરને ફિરોઝપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તેમનો જીવ બચ્યો હતો.
વર્ષ 2010 માં ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ અને ઉપપ્રમુખ મુખ્તાર અબ્બાસ નકવી રામપુર (ઉત્તર પ્રદેશ) જઈ રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર સૂકા ઘાસના પટ્ટા પાસે ઉતર્યું અને તેમાં આગ લાગી ગઈ હતી. જોકે, પાયલટે તરત જ સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.
અર્જુન મુંડાના હેલિકોપ્ટરનું બિરસા મુંડા એરપોર્ટ પર ક્રેશ-લેન્ડિંગ થયું હતું
ઝારખંડના મુખ્યમંત્રી અર્જુન મુંડાના હેલિકોપ્ટરનું 9 મે 2012 ના રોજ રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ક્રેશ-લેન્ડિંગ થયું હતું. તેમનો આબાદ બચાવ થયો હતો. તેમની પત્ની મીરા મુંડા સહિત પાંચ અન્ય લોકો ચમત્કારિક રીતે અકસ્માતમાં બચી ગયા હતા. જ્યારે અર્જુન મુંડાને ખભા અને પગમાં ઈજા થઈ હતી.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પણ હેલીકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો
આ ઉપરાંત આઠ વર્ષ પૂર્વે 25 મે 2017 ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો હેલીકોપ્ટર દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો. જેમાં અમેરિકન બનાવટનું સિકોર્સ્કી હેલિકોપ્ટર લાતુર જિલ્લાના નિલંગા હેલિપેડ પર આશરે 80 ફૂટની ઊંચાઈથી ક્રેશ-લેન્ડિંગ થયું હતું. જેમાં સીએમ ફડણવીસ અને તેમના ત્રણ અધિકારીઓ, પાઇલટ અને કો-પાઇલટને કોઇ ગંભીર ઇજા નહોતી થઇ.