નવી દિલ્હી: દેશના 77 પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ખેડૂતોને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવ્યા છે. તેમણે જણાવ્યું જે મહેનતુ ખેડૂતોની પેઢીઓએ આપણા દેશને અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતના લોકો, દેશ અને વિદેશમાં ખૂબ જ ઉત્સાહથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. પ્રજાસત્તાક દિવસનો શુભ અવસર આપણને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં આપણા દેશની સ્થિતિ અને દિશા અંગે ચિંતન કરવાની તક આપે છે.
26 જાન્યુઆરી 1950 થી બંધારણ અમલમાં આવ્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, આપણા સ્વતંત્રતા આંદોલને 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશને આઝાદ કરાવ્યો હતો. આપણે દેશવાસીઓ રાષ્ટ્રના ભાગ્યના શિલ્પી છે. તેમજ 26 જાન્યુઆરી 1950 થી આપણે ગણતંત્રને તેના બંધારણીય આદર્શો તરફ આગળ ધપાવી રહ્યા છીએ. આ દિવસે આપણું બંધારણ પૂર્ણ રીતે અમલમાં આવ્યું.
સ્વતંત્રતા મેળવી અને આપણું લોકશાહી ગણરાજ્ય અસ્તિત્વમાં આવ્યું
રાષ્ટ્રપતિએ કહ્યું, લોકશાહીના જન્મસ્થળ ભારતે કોલોનીયલ શાસનથી સ્વતંત્રતા મેળવી અને આપણું લોકશાહી ગણરાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આપણું બંધારણ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટા પ્રજાસત્તાકનો પાયાનો દસ્તાવેજ છે. આપણા બંધારણમાં સમાવિષ્ટ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો આપણા ગણરાજયને વ્યાખ્યાયિત કરે છે. બંધારણના સ્થાપકોએ બંધારણીય જોગવાઈઓ દ્વારા રાષ્ટ્રવાદની ભાવના અને રાષ્ટ્રની એકતા માટે મજબૂત પાયો નાંખ્યો છે.