ઈસ્લામાબાદઃ પાકિસ્તાન આવતા અઠવાડિયે અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો છે, જેના કારણે વિશ્વભરમાં ઉર્જા પુરવઠા પર ભારે અસર પડી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે અમેરિકા અને ઈરાને અગાઉ પાકિસ્તાનમાં વાતચીત કરી હતી. જેનો હેતુ સંઘર્ષનો અંત લાવવાનો હતો, પરંતુ વાટાઘાટો રવિવારે વહેલી સવારે કોઈ કરાર વિના સમાપ્ત થઈ ગઈ હતી. પાકિસ્તાનના સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે બંને પક્ષોને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવા માટે તીવ્ર રાજદ્વારી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
બંને દેશો દ્વારા બે અઠવાડિયાના યુદ્ધવિરામનું સતત પાલન કરવાથી પાકિસ્તાનને તેની મધ્યસ્થી ફરી શરૂ કરવાની તક મળી છે. મધ્યસ્થી કરવાના પ્રયાસના ભાગ રૂપે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ બુધવારે ત્રણ દેશોના પ્રવાસે નીકળ્યા હતા જ્યારે ફિલ્ડ માર્શલ અસીમ મુનીર તે જ દિવસે તેહરાન પહોંચ્યા હતા.
સાઉદી અરેબિયા અને કતારના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી વડાપ્રધાન શરીફ ગુરુવારે રાત્રે તુર્કી પહોંચ્યા હતા, જ્યારે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ઈરાનમાં 24 કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને રાજકીય અને લશ્કરી નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને લશ્કરી નેતાઓ વચ્ચેની વાટાઘાટોના પરિણામ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ ગુરુવાર સાંજથી સુરક્ષા અધિકારીઓ અચાનક સક્રિય થયા હતા. ઇસ્લામાબાદના અધિકારીઓના જણાવ્યા અનુસાર, "ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હજારો પોલીસ અને અર્ધલશ્કરી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
પ્રથમ બેઠક દરમિયાન 10,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. ઇસ્લામાબાદ અને રાવલપિંડી જિલ્લાના અધિકારીઓએ પરિવહન કંપનીઓનો સંપર્ક કર્યો છે અને તેમને જાણ કરી છે કે બંને શહેરોમાંથી આવતા અથવા જતા ટ્રાફિકને ગંભીર પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા સંદેશ અનુસાર, એકવાર પ્રતિબંધો લાગુ થયા પછી આ પ્રતિબંધો આવતા અઠવાડિયાના અંત સુધી ચાલુ રહી શકે છે. નાગરિકોને આગામી અઠવાડિયામાં બિનજરૂરી મુસાફરી ટાળવાની વિનંતી કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી શકે છે અને એરપોર્ટની આસપાસના બજારો પણ રસ્તા પર ટ્રાફિક ઓછો કરવા માટે બંધ થઈ શકે છે. અગાઉ અમેરિકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે જણાવ્યું હતું કે વાટાઘાટો કોઈ કરાર પર પહોંચી શકી નથી કારણ કે તેહરાન તેના પરમાણુ કાર્યક્રમને છોડી દેવા તૈયાર નથી.