કપરાડા: ગુજરાતના વલસાડ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક મુસાફરો ભરેલી પીકઅપ વાન અચાનક પલટી જતાં 6 લોકોના મોત થયા છે. આ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ વાનમાં કુલ 28 લોકો સવાર હતા. તેમજ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. તેમજ પોલીસે પણ આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારમાં માતમ છવાયો
આ પીક અપ વાનમાં બેસેલા મુસાફરો અંગે મળતી માહિતી મુજબ સમગ્ર પરિવાર સામાજીક પ્રસંગે જઇ રહ્યો હતો. ત્યારે જ અકસ્માત સર્જાયો હતો. તેમજ ખુશીના પ્રસંગના સામેલ થવા જતાં પરિવારમાં માતમ છવાયો છે.
અચાનક ગાડીની બ્રેક ફેઈલ થઈ હતી
આ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ મુસાફરોથી ભરેલી આ વાન જ્યારે વીરક્ષેત્ર ગામ નજીક એક ચઢાણ વાળા રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક ગાડીની બ્રેક ફેઈલ થઈ હતી. ઢાળ પર બ્રેક ન લાગતા પીકઅપ વાન રિવર્સ આવી હતી. જેના લીધે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને વાન રોડ પર જ પલટી મારી ગઇ હતી.