બિહારના મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીને જાનથી મારવાની ધમકી આપનારો ગુજરાતના સાણંદમાંથી ઝડપાયો
અમદાવાદઃ બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીને જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં મુંગેર પોલીસે ગુજરાતના સાણંદથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ બાંકાના રહેવાસી શેખર યાદવ તરીકે થઈ હતી. મુંગરે પોલીસ તેને ટ્રાંઝિટ રિમાન્ડ પર બિહાર લઈ જઈ રહી છે. આ અહેવાલા રાજ્યના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કેસની ગુપ્ત તપાસ શરૂ કરી હતી.
આરોપી સાણંદમાં રહીને મજૂરી કામ કરતો હતો. તે બાંકા જિલ્લાનો રહેવાસી છે. તેણે મોબાઈલથી સીએમને જાનથી મારવાની ધમકી આપતો કોલ કર્યો હતો. આ મામલે મુંગેર પોલીસે કેસ નોંધી તપાસ શરી કરી હતી. તપાસ દરમિયાન ધમકી આપનારા મોબાઈલ નંબરનું લોકેશન ગુજરાત નીકળ્યું હતું.
બિહાર પોલીસે ગુજરાત આવીને અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરીથી મોબાઈલ નંબરનું લોકેશન ટ્રેસ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. જરૂરી કાર્યવાહી બાદ બિહાર લઈ જવામાં આવી રહ્યો છે. બાંકામાં તેના નિવાસ સ્થાને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તેણે સમ્રાટ ચૌધરીને ધમકી કેમ આપી, તેની પાછળ શું હેતુ હતો જેવી તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્ય પ્રધાન બન્યા બાદ સમ્રાટ ચૌધરીએ કાનૂન વ્યવસ્થા સુધારવા પર ભાર મુક્યો હતો. તેમણે ગુનેગારોને ચેતવણી આપી હતી. જેની ઘણી અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં ગુનેગારોએ પોલીસના ઓપરેશન સામે હથિયાર હેઠા મૂક્યા છે. વૈશાલીમાં સોના લૂંટના આરોપીને ઠાર કરાયો હતો. મુખ્ય પ્રધાન બન્યા બાદ સમ્રાટ ચૌધરીએ લૉ એન્ડ ઑર્ડરને સરકારની પ્રાથમિકતા ગણાવી હતી. આ સ્થિતિમાં તેમને જાનથી મારવાની ધમકી આપવાના અહેવાલ ચોંકાવનારા હતા.