રાજનાથસિંહે કહ્યું, પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર આવશે તો બોર્ડર ફેન્સિંગ થશે
કૉલકાતાઃ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે શનિવારે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે તો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની બોર્ડર પર ફેન્સિંગ લાગી જશે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પશ્ચિમ બંગાળમાં થઈ હતી, તેથી આ ભાજપ કોઈ બાહરની પાર્ટી નથી. પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ કેન્દ્રીય મંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં જીત પાક્કી છે.
CAA સૌથી પહેલા લાગુ થશે
23 એપ્રિલના રોજ થયેલા મતદાનમાં 110 બેઠક પર જીત થશે, ચૂંટણી સંબંધિત રેલીમાં હાજરી આપીને સભા સંબોધન કરતા મંત્રીએ દાવો કર્યો હતો કે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવશે તો સૌથી પહેલા CAA ઝડપથી લાગુ થઈ જશે. ખાસ કરીને મતુઆ સમુદાય માટે. પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, પહેલા તબક્કામાં ભાજપ 110 બેઠક પર જીત મેળવશે. દીદી સત્તા પરથી દૂર થઈ જશે. તૃણમુલ કોંગ્રેસના બદલે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની જશે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની કુલ 294 બેઠક છે. 152 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 23 એપ્રિલના રોજ થયેલા મતદાનમાં 92 ટકા મતદાન થયું હતું.
બીજા તબક્કાનું 29 એપ્રિલે મતદાન
હવે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ થશે. બાકીની 142 બેઠકો માટે મતદાન થવાનું છે. અમિત શાહે એક રેલીને સંબોધતા કહ્યું હતું કે, દીદી CAAનો કાયદો લાગુ થવા નથી દેતા, ભાજપની સરકાર બનાવો અને 5 મે બાદ ભાજપ સરકાર એ નક્કી કરશે કે મતુઆ સમુદાયના ભાઈ-બહેનોને નાગરિકતા મળશે. મતુઆ સમુદાય જે બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓનું એક રાજકીય ગ્રૂપ છે અને તે ખૂબ જ પ્રભાવશાળી છે. મતુઆ સમુદાયના લોકોએ હવે ડરીને રહેવાની કે જીવવાની જરૂર નથી.