Sat Apr 25 2026

Logo

નળ સરોવર-વિરમગામ હાઇવે પર સર્જાયો ગંભીર અકસ્માત, બાળક સહિત ત્રણના મોત

2026-04-24 14:52:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં અનેક લોકોનું અકાળે મોત પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં ફરી એક અકસ્માતની ઘટના સર્જાઈ છે. નળ સરોવર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માત સર્જોય છે. આ અકસ્માતમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માતની વાત કરવામાં આવે તો, કમીજલા અને વનથળ ગામ વચ્ચે આ ઘટના સર્જાઈ હતી. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે એક પીકઅપ વાહનચાલકે બાઈકને અડફેટે લીધું હતું. 

અકસ્માતમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત

આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થઈ ગયું છે. જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં છે. અત્યારે તે મહિલાની સ્થિતિ વધારે ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અકસ્માત આજે સવારે 8 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. અકસ્માત એટલે ભયાનક હતો કે, આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં અને સત્વરે બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.  આ અકસ્માતમાં એક માસૂમ બાળક સહિત ત્રણ લોકોના મો થયાં છે, તેમાં એક મહિલા પણ સામેલ છે. 

ત્રણેય મૃતકો મૂળ તો સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી હતા

પોલીસના જણાવ્યાં પ્રમાણે તમામ મૃતકો મૂળ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના રહેવાસી હતા. આ લોકો લખતરથી બાઈકને લઈને આવી રહ્યાં હતા અને રસ્તામાં તેમને કાળ ભરખી ગયો હતો. મૃતકો બાઈક લઈને પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન પાછળથી આવી રહેલા પીકઅપે ઓવરટેક કરતા અડફેટ મારી હતી. પીકઅપ ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે વિરમગામ પોલીસે પીકઅપ ચાલક સામે ફરિયાદ નોંધી અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.