તહેરાનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને શાંત કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યાં છે. એક બાજુ શાંતિની વાતો અને બીજા બાજુ હુમલાઓ! આવી સ્થિતિ અત્યારે મધ્યપૂર્વમાં જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તાજેતરમાં અમેરિકન હવાઈ હુમલામાં ઈરાની વિમાનને નુકસાન થયું છે. અમેરિકાના આ હવાઈ હુમલામાં ઈરાનના મહાન એરલાઇન્સનું એક વિમાન શિકાર બન્યું છે. તો આવી સ્થિતિમાં શાંતિની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આવા પ્રશ્નો અત્યારે થવા લાગ્યાં છે.
રાહત સામગ્રી લેવા જતા વિમાન પર થયો હુમલો
મહત્વની વાત એ છે કે, મહાન એરલાઇન્સનું આ વિમાન રાહત સામગ્રી લેવા માટે ભારત આવી રહ્યું હતું. એક એપ્રિલે ઈરાનને ભારત તરફથી માનવતાવાદી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તે માનવતાવાદી સહાય લેવા માટે આ વિમાન આવી રહ્યું હતું. પ્રશ્ન એ છે કે, ઈરાન- અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સૈન્ય સ્થાનો પર હુમલો કરવામાં આવી રહ્યો હતો, પરંત હવે અમેરિકા નાગરિક સુવિધાઓને પણ નિશાન બનાવી રહ્યું છે. અમેરિકા દ્વારા ઈરાન પર અનેક હુમલાઓ કરવામાં આવ્યાં છે, રાહત માટે જઈ રહેલા વિમાનને અમેરિકાએ શા માટે નિશાન બનાવ્યું? તે એક પ્રશ્ન છે.
આ વિમાન દિલ્હીથી દવાઓ લઈને ઈરાન પરત ફરવાનું હતું
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે હુમલો થયો ત્યારે એરપોર્ટ પર એક વિમાન દિલ્હી જવા માટે તૈયારી કરી રહ્યું હતું. ઈરાની સરકારી સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મહાન એરલાઈન્સનું એક નાગરિક વિમાન હુમલામાં નાશ પામ્યું છે. આ વિમાન દિલ્હી જઈ રહ્યું હતું અને યુદ્ધ પીડિતો માટે 11 ટનથી વધુ માનવતાવાદી દવાઓ લઈને ઈરાન પરત ફરવાનું હતું. જોકે, મશહદ એરપોર્ટ પરના હુમલામાં વિમાન ઉડાન ભરે તે પહેલાં જ નાશ પામ્યું હતું. જેથી અમેરિકાનો શાંતિ પ્રસ્તાવ હવે શંકાના દાયરામાં આવ્યો છે. શું ખરેખર અમેરિકા શાંતિ ઇચ્છે છે? જો હા, તો પછી આ હુમલો શા માટે? હવે ઈરાન આનો કેવો જવાબ આપશે તે જોવાનું રહેશે.