નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત ચાલી રહ્યું છે. તેમજ ઈરાન દ્વારા વૈશ્વિક ઉર્જાના મહત્વના જળમાર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ઈરાનનું ભારત અંગેનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. જેમાં ઈરાને કહ્યું છે હોર્મુઝ સ્ટ્રેટ અંગે ભારતીય મિત્રોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઈરાને કહ્યું કે ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે.
ભારતીય મિત્રો સુરક્ષિત હાથમાં
હોર્મુઝ સ્ટ્રેટ એ એક મહત્વપૂર્ણ જળમાર્ગ છે જે 28 ફેબ્રુઆરીથી ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલા બાદ ખોરવાઈ ગયો છે. ત્યારે ભારતમાં ઈરાનના દૂતાવાસે ગુરુવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આપણા ભારતીય મિત્રો સુરક્ષિત હાથમાં છે. ચિંતાનું કોઈ કારણ નથી.
19 જહાજો હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા
તેમજ 28 માર્ચથી અત્યાર સુધી 8 ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટથી રવાના થયા છે. તેમાં બે LPG કેરિયર્સ - BW TYR અને BW ELM -નો સમાવેશ થાય છે જે લગભગ 94,000 ટન LPGનો સંયુક્ત કાર્ગો વહન કરે છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ભારત માટે LPG, ક્રૂડ ઓઇલ અને LNG વહન કરતા 19 જહાજો હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે.
400 જહાજો યુદ્ધ શરૂ થતાં હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા
ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે ભારત માટે ઉર્જા કાર્ગો વહન કરતા 10 વિદેશી ધ્વજવાળા જહાજો હાલમાં ફસાયેલા છે. આમાં 3 LPG જહાજો, 4 ક્રૂડ ઓઇલ ટેન્કરો અને 3 લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કેરિયર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતીય ધ્વજવાળા જહાજો પણ છે. જેમાં 3 LPG ટેન્કરો, એક LNG કેરિયર અને 4 ક્રૂડ ઓઇલ ટેન્કરોનો સમાવેશ થાય છે. હાલમાં એક ખાલી ટેન્કરમાં LPG લોડ કરવામાં આવી રહ્યું છે. આ જહાજોનો એ 400 જહાજોમાં સમાવેશ થાય છે જે યુદ્ધ શરૂ થતાં હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા છે.