Fri Apr 17 2026

Logo

અનિલ અંબાણીના દીકરા જય અનમોલ સામે CBIએ કેસ નોંધ્યો! આટલા કરોડની છેતરપિંડીનો આરોપ

2025-12-09 16:34:25
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: એક સમયે ભારતના અગ્રણી ઉદ્યોગપતિમાંના એક ગણાતા અનિલ અંબાણી હાલ ખુબજ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે, ઘણી કેન્દ્રિય એજન્સીઓ તેની સામે અલગ અલગ મામલામાં તપાસ કરી રહી છે. એવામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ અનિલ અંબાણીના દીકરા જય અનમોલ સામે કેસ નોંધ્યો છે.

અહેવાલ મુજબ, રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) સાથે સંકળાયેલી કથિત બેંક છેતરપિંડીના કેસમાં CBI એ જય અનમોલ સામે ફોજદારી કેસ દાખલ કર્યો છે. આ પહેલી વાર અનિલ અંબાણીના દીકરાનું નામ કોઈ કેસમાં નોંધાયું છે. 

આહેવાલ મુજબ RHFLના ભૂતપૂર્વ CEO અને ફૂલ-ટાઈમ ડિરેક્ટર રવિન્દ્ર સુધાલકર અને કેટલાક અજાણ્યા પબ્લિક સર્વન્ટ્સ સામે પણ CBIએ કે દાખલ કર્યો છે. ફરિયાદમાં છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ગુનાહિત ગેરવર્તણૂક સહીતના આરોપ મુકવામાં આવ્યા છે. આરોપ મુજબ બેંકને 228.06 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

શું છે RHFL સાથે જોડાયેલો મામલો:

આંધ્રા બેંક દ્વારા CBI સમક્ષ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે RHFLએ તેના બિઝનેસની જરૂરીયાતને પૂરી કરવા માટે મુંબઈ સ્થિત બેંકની SCF બ્રાંચમાંથી રૂ.450 કરોડની લોન લીધી હતી. આ દરમિયાન સમયસર પેમેન્ટ, ઇન્ટરેસ્ટ, અન્ય ચાર્જીસ, સિક્યોરિટી અને અન્ય જરૂરી ડોકયુમેન્ટ્સ જમા કરવાની શરત મુકવામાં આવી હતી, આ ઉપરાંત વેચાણમાંથી મળેલી રકમ બેંક ખાતા દ્વારા મોકલવાની શરત મુકવા આવી હતી. 

કંપની કેટલીક શરતો પૂરી કરવામાં નિષ્ફળ ગઈ હતી. 30 સપ્ટેમ્બર, 2019 ના રોજ કંપનીના ક્રેડીટ એકાઉન્ટને નોન પરફોર્મિંગ એસેટ(NPA) જાહેર કરવામાં આવ્યું હતું. 

તપાસમાં જાણવા મળી આ વિગતો:

અધિકારીઓના જણાવ્યા મુજબ ગ્રાન્ટ થોર્ન્ટન (GT) એ 1 એપ્રિલ, 2016 થી 30 જૂન, 2019 સુધી કંપનીએ કરેલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી હતી, આ તપાસમાં જાણવા મળ્યું છે કે લેવામાં આવેલી લોનનો કંપનીએ દુરુપયોગ કર્યો હતો.

CBI કરી શકે છે મોટી કાર્યવાહી:

CBI RHFL ના ડોકયુમેન્ટ્સ, લોન એકાઉન્ટ અને ઇન્ટરનલ રેકોર્ડની તપાસ કરી શકે છે. CBI કંપનીના પદાધિકારીઓ અને બેંક કર્મચારીઓની વધુ પૂછપરછ કરી શકે છે.

રિલાયન્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.  નોંધનીય છે કે આ વર્ષે અન્ય એક કેસમાં  તપાસ એજન્સીઓએ અનિલ અંબાણીના નિવાસસ્થાન અને ઓફિસ સહિત કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતાં અનમે કરોડોની સંપતિ જપ્ત કરી હતી.